ગાંધીનગર : ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની મેનકાઇન્ડ ફાર્મા 500 કરોડ રૂપિયાનો ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ હવે વડોદરામાં સ્થાપશે. ગુજરાત સરકારે આ પ્લાન્ટ સ્થાપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. પ્રથમ તબક્કે 500 કરોડના રોકાણ સાથે પ્લાન્ટની સ્થાપના બાદ મેનકાઇન્ડ ફાર્મા તબક્કાવાર 1100 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની છે.
ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસે આ અંગે ન્યૂઝ 18 સાથે વાત કરી વિગતો આપી હતી. એમ. કે. દાસે જણાવ્યું હતું કે, હાલ ચાલી રહેલી ‘ઇન્ડિયન ફાર્મા એન્ડ મેડિકલ ડિવાઇસ 2021’ ઇવેન્ટ દરમિયાન સ્પેશિયલ વર્ચ્યૂઅલ સાઇનિંગ સેરેમનીમાં મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. આ પ્લાન્ટની સ્થાપના માટેના ‘લેટર ઓફ ઇન્ટેન્ટ’ અને ‘પ્રોજેક્ટ આઉટ લે’ને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલની સ્વીકૃતિ મળી ગઇ છે અને આ સુચિત પ્રોજેક્ટ સ્થાપના માટે ડિપાર્ટમેન્ટે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. રાજ્ય સરકાર પણ આ પ્રોજેક્ટને પૂર્ણ સહયોગ આપશે.
તેમણે કહ્યું કે, મેનકાઇન્ડ ફાર્માનો આ પ્લાન્ટ 100% એક્સ્પોર્ટ ઓરિએન્ટેડ હશે. ગુજરાતમાં ઉત્પાદીત થનારી ફાર્મા પ્રોડક્ટસ અમેરિકા, નેધરલેન્ડ જેવા દેશોમાં એક્સપોર્ટ થશે. મેનકાઇન્ડ ફાર્મા જેવી કંપનીઓ ઈમ્પોર્ટ ડિપેન્ડન્સી ઘટાડવા ભારત સરકારની ‘પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટીવ’ (PLI) યોજનાનો લાભ પણ મેળવી શકશે. સમગ્ર દેશમાં એપ્રિલથી સપ્ટેમ્બર 2020ના સમયગાળામાં આવેલા કુલ એફ.ડી.આઇ.ના સૌથી વધુ એટલે કે 53% એકલા ગુજરાતમાં આવ્યું છે તેમ પણ તેઓએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, ગુજરાતમાં ફાર્માસ્યુટિકલના આ નવા સુચિત પ્રોજેક્ટના આગમનથી વધુ લાભ મળશે.