સુરત: કોરોના મહામારી (Corona pandemic)માં વધુ એક યુવકે આપઘાત (Suicide) કરી લીધો છે. કોરોનાને પગલે આર્થિક સ્થિતિ ખરાબ થવાને પગલે સુરતમાં અનેક લોકોએ આપઘાત કરી લીધાના બનાવો બન્યા છે. સુરતમાં વધુ એક યુવકે પરિવારનું ભરણપોષણ ન કરી શકવાને પગલે હતાશ થઈને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.
કોરોનાને પગલે કરવામાં આવેલા લૉકડાઉન (Lockdown)ને કારણે અનેક ધંધા અને ઉદ્યોગ હજુ સુધી પાટા પર ચડ્યા નથી. અનેક એવા લોકો છે જેમની નોકરી છૂટી ગઈ છે. સુરતના ઉધના વિસ્તારમાં રહેતા અને પરિવારને લેસપટ્ટીના કારખાનામાં કામ કરીને આર્થિક રીતે મદદ કરતો યુવાન છેલ્લા કેટલાક સમયથી કામ મળતું ન હોવાથી સતત માનસિક તાણમાં રહેતો હતો.
મહેશ જાદવ પરિવારનો મોટો દીકરો હતો અને પરિવારની જવાબદારી નિભાવતો હતો. જોકે, યોગ્ય કામ ન મળતું હોવાથી તે પોતે અને તેનો પરિવાર નાણાભીડથી પસાર થતા હતા. યુવાને પોતે જે લેસપટ્ટીના કારખાનામાં કામ કરતો હતો ત્યાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. કારખાનામાં કામ કરતા લોકોને આ જાણકારી મળતા તેમણે મહેશના પરિવાર અને પોલીસને જાણકારી આપી હતી.
કોરોનામાં કામ છૂટી ગયા બાદ નવું કામ ન મળતા રત્નકલાકારનો આપઘાત
સુરતમાં ગત અઠવાડિયે એક રત્ન કલાકારે આપઘાત કરી લીધાનો બનાવ બન્યો હતો. જેમાં સુરતના પુણા કારગીલ ચોક શિવનગર સોસાયટી ખાતે રહેતા પ્રકાશભાઈ શવજીભાઈ પોલરા હીરાના કારખાનામાં કામ કરતો હતો. જોકે, છેલ્લા કેટલાક સમયથી કામ ન મળતા પ્રકાશ આર્થિક સંકડામણમાં સપડાયો હતો.
આ કારણે તે છેલ્લા કેટલાક સમયથી સતત માનિસક તાણ અનુભતો હતો. આ દરમિયાન તે ગતરોજ પરિવાર સાથે સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયો હતો. ત્યાંથી પરત આવ્યા બાદ બાળકો સહિત પત્નીને તેના પિયરમાં મૂકીને કામ અર્થે બહાર જવાનું કહી નીકળ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી માનસિક તાણ અનુભવતા રત્નકલાકરે આવેશમાં આવી જઈને પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.